(N/A) જ્યારે રુધિર પેશીઓમાં રહેલી રુધિરકેશિકાઓમાંથી પસાર થાય છે,ત્યારે પાણી અને નાના દ્રાવ્ય પદાર્થો પેશીકોષો વચ્ચેની જગ્યામાં બહાર આવે છે,જ્યારે મોટા પ્રોટીન અને મોટાભાગના રુધિરકોષો રુધિરવાહિનીઓમાં જ રહે છે. આ મુક્ત થયેલા પ્રવાહીને આંતરકોષીય પ્રવાહી અથવા પેશીય પ્રવાહી કહેવામાં આવે છે.
તેમાં રુધિરરસ (પ્લાઝ્મા) જેવું જ ખનિજ વિતરણ હોય છે.
રુધિર અને કોષો વચ્ચે પોષકતત્વો,વાયુઓ વગેરેની આપ-લે હંમેશા આ પ્રવાહી દ્વારા થાય છે.
લસિકાતંત્ર તરીકે ઓળખાતી વાહિનીઓનું એક વિસ્તૃત જાળું આ પ્રવાહીને એકત્રિત કરે છે અને તેને મુખ્ય શિરાઓમાં પાછું ઠાલવે છે. લસિકાતંત્રમાં હાજર પ્રવાહીને લસિકા કહેવામાં આવે છે.
લસિકાનું બંધારણ: લસિકા એક રંગહીન પ્રવાહી છે. તેનું બંધારણ રુધિરરસ જેવું જ હોય છે,પરંતુ તેમાં ઓગળેલા ક્ષારોનું પ્રમાણ અલગ હોય છે.
લસિકામાં રુધિરરસની તુલનામાં પ્રોટીન અને ફાઈબ્રિનોજન તત્વો ઓછા હોય છે,પરંતુ તેમાં પેશીઓના ચયાપચયમાંથી મળતા ઉત્સર્ગ દ્રવ્યો હોય છે.
નાની લસિકાકેશિકાઓમાં લસિકામાં કોઈ કોષો હોતા નથી. પરંતુ જ્યારે લસિકા લસિકાગાંઠોમાંથી પસાર થાય છે,ત્યારે નાના લસિકાકોષો $(99 \%)$ અને બાકીના $1 \%$ માં રક્તકણો (RBCs) અને ઇઓસિનોફિલ્સ જોવા મળે છે.
કાર્ય: લસિકામાં લસિકાકોષો (Lymphocytes) હોય છે જે શરીરના રોગપ્રતિકારક પ્રતિભાવો માટે જવાબદાર છે. તે પોષકતત્વો,અંતઃસ્ત્રાવો વગેરે માટે એક મહત્વપૂર્ણ વાહક છે.
આંતરડાના રસાંકુરોમાં હાજર પયસ્વિનીઓ (Lacteals) દ્વારા ચરબીનું શોષણ લસિકા દ્વારા થાય છે.